Friday, April 16, 2010

ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી ને એને એમાં રસ પણ નથી.....- જિગર જોષી ‘પ્રેમ’

જે આંખમાં ભીનાશ નથી ત્યાં ઇશ્વરનો વાસ નથી. દુ;ખ એ સુખની પૂર્વ શરત છે. પીડા એ પરમત્વ તરફની દિશા નિર્દેશ કરે છે.‘આંસુ’ એ ભાવિ આનંદનું તિલિસ્મી તત્વ છે. એક એવી સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ મન ભરીને રડી લે છે અને પુરુષને રડવામાં પહાડ જેવડો અહમ આડો આવે છે. વિજ્ઞાન પણ આ વાતનો સાથ પુરે છે કે એક હદ સુધી જ આંસુને રોકી શકાય છે. અને એ હદ દરેક જીવ એકવાર તો વટાવી જ દે છે. આંખ એ એવો દરિયો છે જેમાં તોફાન ઉઠવું એ સાહજિક બાબત ગણાવી શકાય. દરિયામાં જેટલું ઉંડાણ છે એટલુ જ ઉંડાણ આંખ પણ ધરાવે છે, અને એ પણ દરિયા જેવી જ એક નોખી સૃષ્ટિની વારસદાર છે. આંખ એ વ્યક્તિત્વને છતું કરતું દરપણ છે. ને આ દરપણમાં સચવાઇને જિવન પર્યંત એક આખું વિશ્વ પડ્યુ રહે છે.
માણસ કંઇ કેટલુંયે સાથે લઇને જીવતો હોય છે. સમયનું રણ, સહેજ પોતિકુ વલણ, ઉછીના શ્વાસનું આવરણ, સતત પીછો કરતું પડછાયા જેવું સ્મરણ, અને નહીં જીવાયેલી અઢળક ક્ષણ... આ બધાયનો સરવાળો એટલે જ કદાચ ‘જીવન’ ! આમ જોઇએ તો કોઇ આર્ટ ગેલેરીમાં ઘટનાઓને એક ફ્રેમમાં મઢીને દિવાલ પર ટાંગી દીધેલું જીવન જ આપણે સૌ માણી રહ્યા છીએ. થોડી થોડી વારે એક નવો ચહેરો સાવ નવી અને જુદી જ નજરે આપણને નિહાળે છે અને પોતાની રીતે એનું તારણ પણ કાઢે છે. ક્યાંય જિવંતતા લાગતી નથી ! ક્યાંક કોઇ ફોટોગ્રાફર જેવી ક્ષણો આપણને કિલક કર્યા કરે છે. અને આપણે (પરાણે) સ્માઇલ આપતા રહીયે છીએ.
સાવ ખુલ્લા મને જીવતા આપણે ક્યારે શિખીશું એ એક ઉખાણું છે જેનો જવાબ હજી સુધી એકેય પેપર સોલ્યુસન્શમાં અંકિત નથી. આપણને હજુ આપણા અસ્તિત્વ વિશે પુરી સભાનતા નથી ત્યાં ઇશ્વરના હોવા ઉપર શંકા કરવા બેઠાં છીએ ! રોજ નવો ઉમંગ લઈને સવાર ઊગ્યા કરે છે. સૂરજ રોજ આકાશના બ્લેક-બોર્ડ પરથી ‘ગઈકાલ’ને લૂછ્યા કરે છે. સમય કાંડે ઘડિયાળ ન બાંધતો હોવા છતાંયે ક્યારેય મોડો પડતો નથી. આપણી આંખોને તાજગી મળે એટલે ફૂલો ઉગ્યા કરે છે. ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી. એને એમાં રસ પણ નથી. પણ આપણને સહુને નેગેટીવિટીના ચશ્મા ચડાવીને ફરવાની આદત પડી ગૈ છે. અને આ ચશ્મા પર રોજ શંકાશિલતાની રજ ચોંટ્યા કરે છે એને સાફ કરવાની તસ્દી આપણે કેમ નથી લેતા એજ મોટો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે આપણી હાર પચાવી શકતા નથી. એટલે સંજોગોને વિટનેસ પણ બનાવીએ છીએ અને ગુન્હેગાર પણ. આપણી પાસે દરેક હારના ‘ડીફેન્સ’ રેડી મેઈડ હોય છે. આપણે જેટલી મહેનત આવા (નકામા) કારણો શોધવામાં કરીએ છીએ એટલી મહેનત કદાચ નિર્ધારિત ધ્યેયને પામવામાં કરીએ તો ‘કોઇ પંખીની આંખ’ ચોક્ક્સ વિંધી શકીએ છીએ. કેમ ? Think about it.
પગથિયા ચડતી વખતે લાગેલો થાક પગથિયા ઉતરતી વખતે આનંદના ઉમળકા પહેરીને પગલાઓને ચૂમવા અધીરાઈ દાખવતો હોય છે. મંદિર એ શાંતિનું જન્મ સ્થળ છે. ત્યાંથી અલૌકિક શક્યતાઓની નવી ક્ષિતિજો શરૂ થાય છે. ઝાલરી રણકાઓ, હવા જેમ ફૂલોને અડકે એવી નાજુકાઈથી આપણા કાનને અડકતા હોય છે. સમાધી જેવું સાન્નિધ્ય તો કેવળ ઇશ્વર જ બક્ષે છે.
રોજ આપણામાં કશુંક ઉઘડવું જોઇએ. વરસાદ વરસ્યા પછી ચડી ગયેલા બારી-બારણા જેવા આપણે સૌ સમયસર ઉઘડી કે બંધ નથી થૈ શકતા એ વાતનો ભારોભાર અફસોસ છે. દરેકમાં કૈંક ને કૈંક એવી ક્રિએટીવીટી પડેલી છે કે જો એનો સુપેરે સુયોગ સધાય તો ‘સ્ટ્રેસ’ નામનો માનસીક રોગ મહદ અંશે મીટાવી શકાય. ધીરી ધીરે વ્યસ્તતાઓની કૂંપળ ક્યારે વટવૃક્ષ થઈને એના મૂળીયા આપણી ‘પોતીકી મજાના ફળીયાનો’ ભરડો લઈ જાય છે એની જાણ સુધ્ધા આપણને રહેતી નથી. ‘જીવ’ એ પ્રવૃત્તિરત રહેવા માંગે છે. એકાંત અને એકલતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એકલતા માણસને કોરી ખાય છે. જ્યારે એકાંતમાંથી જાગૃત સમાધીનું સાન્નિધ્ય સાંપડતું હોય છે. ‘સ્વ’ને પામવાનો ઉત્તમ માર્ગ એ એકાંતનું સાન્નિધ્ય છે. ‘જેમ ઉઘાડ નીકળ્યા પછી જ સાત રંગ અવતરે, જેમ પાનખરમાં એક્સપાઈરી ગુમાવી ચૂકેલા પાંદડાઓ ખરે’ એ વાતમાં જેટલી માર્મિકતા અને તાર્કિક્તા છે એમ જ આ વાતમાં પણ એટલો જ ગહન સંદર્ભ છે કે ‘બધાની ભીતરે કશેક કૈંક દિવ્ય છે, એ નાશવંત નથી પણ એ નિત્ય છે. બધી જ વાત આમ તો અગમ તત્વ સુધી જઈને અટકે છે.
---- ટહુકો ----
સમંદર બનવા માટે પહાડેથી ‘ધોધ થઈને પડવું’ પડે છે.

1 comment:

...* Chetu *... said...

ખૂબ જ સુંદર આલેખન ...!! અભિનંદન ...

ચેતુ - www.samnvay.net