Friday, April 16, 2010

‘સાંજ’ એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે....જિગર જોષી ‘પ્રેમ’


આજે વાત કરવી છે ‘સાંજ’ની! વાત કરવી છે સંધ્યાની. વાત કરવી છે એવા સમયની, એવા પહોરની કે જે એકલતા અને ઉદાસીનું ઉદગમ સ્થાન ગણાય છે. વાત કરવી છે એવા ટાણાની જ્યારે આકાશ ફકીરીપણાની ચાદર ઓઢીને તપસ્વીપણાનો અહેસાસ કરાવે છે. ‘સાંજ’એ ભક્તિરસનું સોલો-પરફોરમન્સ છે. એ વાતાવરણના હાથે રચાયેલી રંગોળી છે.‘સાંજ’નો ઉલ્લેખ એક પણ તારીખિયામાં કે કેલેન્ડરમાં હોતો નથી, અને ઘડિયાળ પહેરીને જ સમયને વફાદાર રહી શકાય તેવી તમામ ભ્રમણાઓને એ એક જ ઝાટકે ખોટી પાડી શકે છે. આપણી અને કુદરત વચ્ચે જો કોઇ મોટો તફાવત હોય તો એ ‘વાયદો નિભાવવાનો’ તફાવત છે. કુદરત કોઇપણ કમિટમેંટ વગર આપણને કેટકેટલું આપે છે! અને આપણે સાંજ પડ્યે એટલા કમિટમેંટ આપીએ છીએ જેમાંથી મોટા ભાગના અધુરા જ રહી જાય છે. હ્રદય જેવું હોય તો ત્યાં હાથ રાખીને તમારી જાતને પુછો મારી વાત સાચી છે કે નહીં ?
‘સાંજ’ કંઇ કેટલાયે રંગો અને સ્વભાવ ધરાવે છે! માણસની જેમ જ! કયારેક ભગવો સંત જેવો, તો કયારેક મખમલી સ્વભાવ જેવો.. કયારેક આછેરો અજવાસી રંગ તો કયારેક ઉગ્રતાની ચરમસીમાએ પહોચેલા મિજાજ જેવો! એમાં એકલતા અને ઉદાસીનો મિજાજ એ આગવી વિશેષતા ધરાવે છે અને એના રંગની મજા પણ લૂંટવા જેવી છે. જાત સાથે ગોષ્ઠિ કરવાની કુંડળી કઢાવીને જરા જોઇ લેજો, સાંજ જેવો ઉત્તમ સમય એક્કય ચોઘડિયામાં ક્યાય હાથ નહીં લાગે. આમેય હું બ્રાહ્મણ ખરોને ! મેં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે આ ચોઘડિયાનો લાભ લીધો છે, એટલે જ આટલા કોન્ફીડેન્સથી આ વાત તમને કહી શકું છું.
‘સાંજ’એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે. ઢળતા સુરજના વિશાળ કેમ્પસમાં પથરાયેલી, ગેરુ રંગનો સ્પ્રે છાંટેલી આકાશી દિવાલો પેલી નજરે ધ્યાનાકર્શક લાગે એ સ્વાભાવિક છે. પણ સાંજ એ વાવ માફક ઉંડી હોય છે. જેમ જેમ પગથિયાઓ ઉતરતા જઇએ તેમ તેમ એક ચોક્કસ પ્રકારનું અંધારું આપણને ઘેરી વળવા આતુર હોય છે. સાંજ એ દિવસ દરમિયાન લાગેલા થાકનો સરવાળો નહીં પણ ઘર તરફ જતા રસ્તાઓનો હાંશકારો છે. સાંજ એ સરકસમાનું પંખી નથી કે જેને ઇચ્છા મુજબની ઉડાન માટે પરમિશન લેવી પડે. સાંજ એ તો એવું ઇન્દ્રધનુષ છે કે જેને વરસાદ પછીના ઉઘાડની કોઇ ગરજ સાલતી નથી. સાંજ એ ‘કોઇ’ના આગમનનો વિષય છે, એને પોતીકો લય છે, એના મૂળમાં પ્રણય છે. અને જેના મૂળમાં પ્રણય હોય એનાથી શુધ્ધ તત્વ દુનિયામાં બીજું તો ક્યુ હોઇ શકે ? હુક્કામાં ક્ષણોને ભરીને ગોટે-ગોટા કરવાની આગવી આવડત પણ ‘સાંજ’ પાસેથી જ આપણને પ્રાપ્ય બની છે.
સાંજ જેટલી ઉદાસ છે એટલી જ ઉદાર પણ છે. મેં સાંજને બગીચામાં એકલા પડી ગયેલા બાંકડાઓની હરોડ વચ્ચે નવી કૂંપળો ઉગાડતી જોઇ છે. સાંજ એ ખુંદવાનો નહીં પણ ડૂબવાનો વિષય છે. ‘સાંજ’ની હથીળીને ખૂબ સુક્ષ્મતાથી વાંચવી છે, એ આવનારી રાત્રીનું ભાગ્ય છતું કરે છે. ઝાલરટાણું જાણે કોઇ પરમત્વની શોધમાં લીન હોય છે. અને એનો નાદ મંદિરની શોભામાં વધારો કરનારો હોય છે. ‘ઘંટારવ એ કાનને સ્પર્શતી ઉત્તમોત્તમ ક્ષણ છે’ એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી લાગતું.
‘ઘડપણ’ અને ‘સાંજ’ મહદઅંશે એકબીજાના પુરક છે. આમેય પરિપક્વતા આવતા આવતા વાર તો લાગે જ ને! કારણકે પરિપક્વતા એ અનુભવોનો સરવાળો છે. જિવન એ આવડતોને વિક્સાવવાની પાઠશાળા છે. જેમાં આપમેળે જ એડમિશન મળી જાય છે. ઘડપણ એ નિષ્ફળતાઓને મઠારી લીધા પછીની મહેક છે. એ નિજાનંદતાને ખૂબ નજદિકથી માણવાની મોસમ છે. આંખને ઝીણી કરીને દરેક ચીજને બારીકાઇથી ચકાસવાનો અવસર છે. જવાબદારીઓને અલવિદા કહેવાનો નમ્ર પ્રયાસ છે. એ ભૂતકાળની બારીએથી ડોકિયુ કરીને વર્તમાનને અજવાળવાની મંદ ગતિ છે. ‘ને હકીકતમાં એ જ સાચી સંપત્તી છે. શ્રધ્ધાનું અજવાળું પાથરવાનો ખરો સમય સંધ્યા જ છે એ પછી વાત વાતાવરણની હોય કે જિવનની! સાંજ અને ‘ચા’ માત્ર ધડપણમાં જ એકમેકમાં ઓગળી શકે છે. અને એના જેવો બીજો એક્કેય અનુભવ ઇતિહાસમાં ક્યાય કંડારી નથી શકાયો.. ‘પ્રવૃત્તિ’ એ માનવીને ફ્રેશ રાખતું અલૌકિક ઔષધ છે.ઘડપણમાં ગમતિલી કોઇ પ્રવૃત્તિનો હિસ્સો બનવાની તક મળે તો વધાવી લેવી જોઇએ અને તક ન મળે તો ઉભી કરવી જોઇએ. નીવૃત્તિનો ખરો આનંદ પ્રવૃત્તિમય રહેવામાં જ છે. આ ઉંમરમાં આપણે અન્યના સપનાઓને નવી દિશાઓ ચીંધવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વિકારવાની હોય છે.
---- ટહુકો ----
’સાંજ’! એ પછી જિવનની હોય કે રાત પહેલાની, પણ બંને અનુભવોની આખરી પૂંજી સમાન છે. જેની સાચવણી માત્ર ‘હ્રદય’ નામનું મ્યુઝિયમ જ કરી શકે છે.

No comments: