Monday, September 6, 2010

કવિતાના ક્ષેત્રમાં ‘હિતેન આનંદપરા’ એ સભાનપણે ઊગી ચૂકેલો સૂરજ છે

-જિગર જોષી ‘પ્રેમ’
[એક પીછું હવામાં તરે છે : લે. હિતેન આનંદપરા, પ્રકાશક: ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. પ્રથમ આવૃત્તિ – ૨૦૦૮, મૂલ્ય રૂ. ૧૦૦/-]

‘એક પીછું હવામાં તરે છે’ એ હિતેન આનંદપરાનો સ્વતંત્ર કાવ્યસંગ્રહ છે. કવિતાના ક્ષેત્રમાં હિતેન આનંદપરા એ સભાનપણે ઊગી ચૂકેલો સૂરજ છે. બહુ ઓછા કવિઓ આપબળે આ ક્ષેત્રમાં પોતીકો અજવાસ પાથરી શક્યા છે અને કવિ શ્રી હિતેન એમાંના જ એક છે. કવિવર શ્રી સુરેશ દલાલ આ કવિ માટે એવું લખે છે કે “કવિતામાં હિતેન પાસે વૈવિધ્ય પૂરતું છે. લખવું એને માટે આદતનું કામ નથી. એ ઘૂંટીને લખે છે”

મુંબઇ જેવા દોડતા શહેરમાં વસવાટ કરવા છતાં આ કવિએ એની કલમમાં ‘શાંતચિત્ત’નું વાતાવરણ બ-ખુબી ઉપસાવ્યું છે. ફ્લેટની આબોહવા વચ્ચે રહીને પણ પ્રકૃતિને ભરપૂર ચાહવાનો લુત્ફ આ કવિ ઉઠાવે છે. ક્યાંક બચપણની એ ગલિઓમાં આપણને ઉઘાડા પગે લઇ જવા કોશિષો કરે છે, તો ક્યાંક કિશોરાવસ્થાની નવી વ્યાખ્યાઓ આપણી સમક્ષ ચિતરી આપે છે. ક્યાંક મૂછના દોરા જેવા યુવાન કલ્પનો જન્માવે છે, તો ક્યાંક “જિંદગીનું છેલ્લું સ્ટેશન” એટલે કે વૃધ્ધાવસ્થાને પણ ખુબ સૂક્ષ્મતાથી આપણી આંખમાં કોઇ સપનાની જેમ વહેતું મૂકી આપે છે. એક રવાનગી છે આ કવિ પાસે વાતાવરણ રચવાની ! આ કવિ ગઝલમાં ‘ચોમાસા’ની જેમ ખુબ ભીંજાવી દે છે, તો ગીતોમાં ‘શિયાળા’ જેવી ઠંડક આપે છે અને ગદ્યકાવ્યોમાં આપે છે ઉનાળામાં ખિલેલા ગુલમ્હોર જેવી ઐશ્વર્યતા ! કોઇ એક કવિ પાસેથી બહુ ભાગ્યે જ આવી સક્ષમતાભરી વૈવિધ્યતા સાંપડી શકે છે. આ કવિએ સ્વભાષાને ગૌરવ અપાવ્યું છે એમ કહેવું અતિશયોક્તિ ભર્યુ નથી લાગતું આવો તમને રૂ-બ-રૂ કરાવું એમની કાવ્ય યાત્રાથી....

જેટલી દુનિયામાં ભલમનસાઇ છે
એ બધીયે ઝાડમાં સચવાઇ છે (પૃ. 14)

ખુદથી અળગા થઈ ખુદાને ચાહવાનું કર શરુ
જગને છોડી જાતને સમજાવવાનું કર શરુ (પૃ. 10)

વધુ પડતી વિકસતી ડાળ છું, ખુદ ઝાડને નડુ
દયા રાખ્યા વગર તુર્ત જ મને થડથી કરો અલગ (પૃ. 11)

ન થોપો આપણાં સિધ્ધાંત સંતાનો ઉપર સદા
નવી હોડીને થોડી વાર તો સઢથી કરો અલગ (પૃ. 11)

એક ચકલીનું અનાયાસે ખભે બેસી જવું,
એક ક્ષણ પંખી થયાનો પણ ગજબ ઉન્માદ છે. (પૃ.12)

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસ્માર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે (પૃ. 16)

એકદમ તાજા ખિલેલા ફૂલને સ્પર્શે પવન,
એ અદાથી જો તને થોડું અડ્યો તો શું થયું ? (પૃ. 27)

આ કવિ ઘૂંટીને લખે છે એટલે જ એની કવિતામાં એક નોખી તાજગીનો અહેસાસ સતત વરતાયા કરે છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે. ‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. આવા બધા જ અનુભવો આ કવિની કાવ્યયાત્રમાંથી પસાર થતી વખતે સહજ થઈ આવે છે.
આ કવિ ક્યાંક ‘સખિ’ રદિફ લઇને દીર્ઘ ગઝલ સરજે છે, તો ક્યાંક ગીતોમાં ભગવા રંગોના લસરકા મારીને એક નોખુ જ કેનવાસ આપણી નજર સામે મૂકી આપે છે. આ કવિના ગીતોની પંક્તિનો ઉપાડ વાચક-ભાવકને સહજ વાંચવા માટે પ્રેરે એવો છે. જુઓ...હરિ તમારી કિટ્ટા, અચરજ દૂર સુધી દેખાય, પાણી વહેતું જાય નદીનું, સગડ મળે જો તારા, સહજ તને હું સ્મરું, જેવી ભગવા રંગી-ફિલોસોફીની વાત હોય કે પછી સેન્સેક્સની જેમ હુંયે ઊંચે ચઢું કદી મારોયે ભાવ તો લગાવો... જેવી આધુનિક્તાની રમૂજભરી શૈલિ હોય, ઓલ રાઉન્ડર જેવી ઇફેક્ટીવ ઇમેજ એ ક્રિએટ કરી શકે છે. ડિપ્રેશન, બપોર, ભેરુ, ધૂમ્રવલય, અંધારું, એક સમસ્યા, જેવા શિર્ષકથી રચાયેલા ગદ્યકાવ્યો પણ આ સંગ્રહની વિશેષતા છે અને તમને બીજું શું કહું રમેશ પારેખ નામના ગદ્યકાવ્યમાં એક કવિ, કવિને કેટલું ચાહતો હોય છે એની ઉત્તમોત્તમ ભાવોભિવ્યક્તિ સરજીને આ કવિ જાણે ર.પા.ને સ્મરાંજલિ આપે છે અને કવિ તરીકેનું ઋણ અદા કરે છે.

સાંપ્રત સમયમાં એક પીછું હવામાં તરે છે - કાવ્યસંગ્રહ, પોતાની એક નોખી મૂદ્રા ઉપસાવે એવો સંગ્રહ છે. આ કવિને અઢળક શુભેચ્છાઓ. અને હજી ભવિષ્યમાં એમની પાસેથી બળકટ રચનાઓ મળતી રહે તેવી આશા સાથે અસ્તુ.