Friday, April 16, 2010

થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ.. -જિગર જોષી ‘પ્રેમ’


ટેબલ પર પડેલા ચાના કપ ઉપર એક પંખીનું પ્રિન્ટેડ ચિત્ર છે. બરાબર મારી બેઠકની સામે ક્રોસમાં એક નાનકડી નાજુક બારી છે. બારીમાંથી (મારા નહીં) સામેના ફળીયામાં ઊગેલા લીમડાની અમુક ડાળીઓ રોજ મને કશુંક કહ્યા કરે છે. બારીની બાજુમાં રહેલી જુઈની વેલ મારા ઓરડામાં ડોકાઈ ડોકાઈને પોતે જિવંત છે એવો અહેસાસ કરાવ્યા કરે છે, પણ આ બધાની વચ્ચે ક્યાંય ટહુકાઓ સંભળાતા નથી. આજે વાત કરવી છે ટહુકા વિનાની વાંઝણી બની ગયેલી શેરીઓની. વાત કરવી છે એવા શહેરની કે જ્યાના વૃક્ષોને પંખીઓના માળાનો ફાલ બેસતો નથી. આજે વાત કરવી છે એવા ફળીયાની જેને ટહુકાઓના વિશ્વ વિશે કશી ગતાગમ રહી નથી....પણ આ બધું કોના કારણે ? ! આના માટે હું, તમે અને આપણો સમાજ જ જવાબદાર છે. રોજ અખબારી-યાદી અપડેટ થઈને મને આંગળી ચીંધીને ઊભી રહે છે. ‘આજે ફલાણા શહેરમાંથી ફલાણી સંખ્યામાં ફલાણા પંખીના મૃતદેહો હાથ લાગ્યા, વગેરે વગેરે...’
ક્યારેક તો માણસ જાતને બુધ્ધિહીનતાનો લકવો મારી ગયો હોય એમ લાગે છે. કારણ વિનાની ભૌતિક ચીજ વસ્તુઓની દોટ પાછળ પ્રકૃતિનો વિનાશ નોતરનારા માનવીનું માનવપણું કોણ જાણે ક્યાં ભાડે દીધું છે ! પુરાતત્વવિદોને જોઈને ક્યારેક એમ થાય છે કે એ લોકો કદાચ દટાયેલો ‘માણસ’ જ શોધતા હશે. ગઈ કાલે જ્યારે બજારમાંથી પંખી પરિચયનું એક પુસ્તક ખરીદ્યુ ત્યારે અમુક પંખીઓના તો નામ પણ પહેલી વેળા જ સાંભળ્યા કે જે આપણાં જ શહેરના (ભુતકાળના) વતની (રહેવાસી) હતા. આપણે આપણા વર્તમાનનું સરખી રીતે જતન નથી કરી શકતા તો આપણા બાળકોને શું ખાખ ઉજ્જ્વળ ભાવિ દેવાના ? ગગનચુંબી ઇમારતોના શહેરમાં ટહુકાઓ ન જ સંભળાય દોસ્ત ! ‘અમુક વસ્તુઓ તો ડીક્સનરીમાં જ શોભે’ એવા વાતાવરણમાં જીવવાની કળા આપણે હસ્તગત કરી લીધી છે.
તમારામાંથી કેટલાકને જે વાત કહેવી હતી એજ વાત આજે મેં મારા શબ્દોથી તમારા હાથમાં એક ટહુકાની જેમ વહેતી મૂકી છે. કાશ ! તમારા કાન એટલા સંવેદનશિલ હોય કે આ ટહુકો સાંભળી શકે...કદાચ આપ મેગા સીટીઝના વતની હશો તો આ વાત તમને એકદમ સૂક્ષ્મતાથી સ્પર્શશે અને ગામડાંના (જો કે ગામડાં પણ હવે શહેરીપણાંની ડીક્સનરીમાં જ અપડેટ થતાં જાય છે) વતની હશો તો નજીકના ભાવિની હેડકી રૂપે યાદ આવશે. ધીરે ધીરે એવો સમય આવશે જ્યારે ફળીયાઓ હીબકા ભરતા હશે ! ઝાડવાઓ ‘પર્ણ ખર્યાનો વસવસો ક્યાં ઠાલવવો’ એની મૂંઝવણ અનુભવતા હશે ! શેરીને જાણે ‘ખાલીપા’ નામનો અજગર ભરડો લઈને બેઠો હોય એમ લાગતું હશે! આકાશમાં ક્યાંક ઉડતું પંખી દેખાશે તો કોઇ અખબારી યાદીમાં ‘TITLE-PAGE’ પર બોલ્ડ અક્ષરોમાં પ્રકાશિત કરાશે. ફૂલોના શહેરમાં જાણે પરમેનન્ટ કર્ફ્યુનો માહોલ હશે ! વૃક્ષોની ડાળીઓ પર કલરવની બદલે સન્નાટાઓ ઝૂલતા હશે ! ટહુકાના આયનાઓ ફૂટ્યા પછી એની કરચો આપણી સંવેદનાના હાથને ચૂંભશે. એવે ટાણે આપણી આંખો કોઇ પંખી શોધવા દોડશે પણ ત્યારે આપણી દ્રષ્ટિને કદાચ અંધાપો ભરખી ગયો હશે ! મોસમના ઓરડાને જાણે તાળા લગાવવાની ફરજ પાડી હોય એમ લાગશે ! થાંભલાના તાર પર ટહુકાઓની જગ્યાએ ચીસ સંભળાતી હશે ! કેવળ ચીસ...ચબૂતરો એ જોવા લાયક સ્થળ તરીકે વિક્સાવવામાં આવશે ! પછી ધીરે ધીરે ‘અહીં પહેલાં ચબૂતરો હતો’ એવો જાજરમાન ભુતકાળ ‘ઇતિહાસ’ બનીને પાઠ્યક્રમમાં આપણી ભાવિ પેઢીને ભણાવવામાં આવશે. પ્રશ્ન પત્રમાં પહેલો જ પ્રશ્ન હશે કે ‘પંખી એટલે શું ?’ તેની કોઇપણ પાંચ વિશેષતાઓ વર્ણવો...તેના જવાબની શરૂઆત કદાચ આવી હશે કે આજથી 200 – 500 વર્ષ પહેલા પંખી નામનું જીવ આપણી ધરતી પર વિપુલ પ્રમાણમાં જોવા મળતુ હતુ વગેરે વગેરે...
મારી બારીએ આરામથી બે ઘડી બેસી અને ઊડી ગયેલી ચકલીની આંખો મારાથી વંચાઇ ગઈ અને આજે આ અર્ટિકલ લખાઈ ગયો છે. મને શ્રધ્ધા છે કે તમને આ ચકલીનો ટહુકો સંભળાશે.
---- ટહુકો ----
કવિ શ્રી ગૌરાંગ ઠાકરનો એક શે’ર આ તકે યાદ આવે છે
આ ગગનચુંબી ઘરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછુ થાય છે.

ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી ને એને એમાં રસ પણ નથી.....- જિગર જોષી ‘પ્રેમ’

જે આંખમાં ભીનાશ નથી ત્યાં ઇશ્વરનો વાસ નથી. દુ;ખ એ સુખની પૂર્વ શરત છે. પીડા એ પરમત્વ તરફની દિશા નિર્દેશ કરે છે.‘આંસુ’ એ ભાવિ આનંદનું તિલિસ્મી તત્વ છે. એક એવી સામાન્ય માન્યતા છે કે સ્ત્રીઓ મન ભરીને રડી લે છે અને પુરુષને રડવામાં પહાડ જેવડો અહમ આડો આવે છે. વિજ્ઞાન પણ આ વાતનો સાથ પુરે છે કે એક હદ સુધી જ આંસુને રોકી શકાય છે. અને એ હદ દરેક જીવ એકવાર તો વટાવી જ દે છે. આંખ એ એવો દરિયો છે જેમાં તોફાન ઉઠવું એ સાહજિક બાબત ગણાવી શકાય. દરિયામાં જેટલું ઉંડાણ છે એટલુ જ ઉંડાણ આંખ પણ ધરાવે છે, અને એ પણ દરિયા જેવી જ એક નોખી સૃષ્ટિની વારસદાર છે. આંખ એ વ્યક્તિત્વને છતું કરતું દરપણ છે. ને આ દરપણમાં સચવાઇને જિવન પર્યંત એક આખું વિશ્વ પડ્યુ રહે છે.
માણસ કંઇ કેટલુંયે સાથે લઇને જીવતો હોય છે. સમયનું રણ, સહેજ પોતિકુ વલણ, ઉછીના શ્વાસનું આવરણ, સતત પીછો કરતું પડછાયા જેવું સ્મરણ, અને નહીં જીવાયેલી અઢળક ક્ષણ... આ બધાયનો સરવાળો એટલે જ કદાચ ‘જીવન’ ! આમ જોઇએ તો કોઇ આર્ટ ગેલેરીમાં ઘટનાઓને એક ફ્રેમમાં મઢીને દિવાલ પર ટાંગી દીધેલું જીવન જ આપણે સૌ માણી રહ્યા છીએ. થોડી થોડી વારે એક નવો ચહેરો સાવ નવી અને જુદી જ નજરે આપણને નિહાળે છે અને પોતાની રીતે એનું તારણ પણ કાઢે છે. ક્યાંય જિવંતતા લાગતી નથી ! ક્યાંક કોઇ ફોટોગ્રાફર જેવી ક્ષણો આપણને કિલક કર્યા કરે છે. અને આપણે (પરાણે) સ્માઇલ આપતા રહીયે છીએ.
સાવ ખુલ્લા મને જીવતા આપણે ક્યારે શિખીશું એ એક ઉખાણું છે જેનો જવાબ હજી સુધી એકેય પેપર સોલ્યુસન્શમાં અંકિત નથી. આપણને હજુ આપણા અસ્તિત્વ વિશે પુરી સભાનતા નથી ત્યાં ઇશ્વરના હોવા ઉપર શંકા કરવા બેઠાં છીએ ! રોજ નવો ઉમંગ લઈને સવાર ઊગ્યા કરે છે. સૂરજ રોજ આકાશના બ્લેક-બોર્ડ પરથી ‘ગઈકાલ’ને લૂછ્યા કરે છે. સમય કાંડે ઘડિયાળ ન બાંધતો હોવા છતાંયે ક્યારેય મોડો પડતો નથી. આપણી આંખોને તાજગી મળે એટલે ફૂલો ઉગ્યા કરે છે. ઇશ્વરે ક્યારેય ‘પોતે છે’ એવી પબ્લિસિટી કરી નથી. એને એમાં રસ પણ નથી. પણ આપણને સહુને નેગેટીવિટીના ચશ્મા ચડાવીને ફરવાની આદત પડી ગૈ છે. અને આ ચશ્મા પર રોજ શંકાશિલતાની રજ ચોંટ્યા કરે છે એને સાફ કરવાની તસ્દી આપણે કેમ નથી લેતા એજ મોટો પ્રશ્ન છે. આપણે સામાન્ય રીતે આપણી હાર પચાવી શકતા નથી. એટલે સંજોગોને વિટનેસ પણ બનાવીએ છીએ અને ગુન્હેગાર પણ. આપણી પાસે દરેક હારના ‘ડીફેન્સ’ રેડી મેઈડ હોય છે. આપણે જેટલી મહેનત આવા (નકામા) કારણો શોધવામાં કરીએ છીએ એટલી મહેનત કદાચ નિર્ધારિત ધ્યેયને પામવામાં કરીએ તો ‘કોઇ પંખીની આંખ’ ચોક્ક્સ વિંધી શકીએ છીએ. કેમ ? Think about it.
પગથિયા ચડતી વખતે લાગેલો થાક પગથિયા ઉતરતી વખતે આનંદના ઉમળકા પહેરીને પગલાઓને ચૂમવા અધીરાઈ દાખવતો હોય છે. મંદિર એ શાંતિનું જન્મ સ્થળ છે. ત્યાંથી અલૌકિક શક્યતાઓની નવી ક્ષિતિજો શરૂ થાય છે. ઝાલરી રણકાઓ, હવા જેમ ફૂલોને અડકે એવી નાજુકાઈથી આપણા કાનને અડકતા હોય છે. સમાધી જેવું સાન્નિધ્ય તો કેવળ ઇશ્વર જ બક્ષે છે.
રોજ આપણામાં કશુંક ઉઘડવું જોઇએ. વરસાદ વરસ્યા પછી ચડી ગયેલા બારી-બારણા જેવા આપણે સૌ સમયસર ઉઘડી કે બંધ નથી થૈ શકતા એ વાતનો ભારોભાર અફસોસ છે. દરેકમાં કૈંક ને કૈંક એવી ક્રિએટીવીટી પડેલી છે કે જો એનો સુપેરે સુયોગ સધાય તો ‘સ્ટ્રેસ’ નામનો માનસીક રોગ મહદ અંશે મીટાવી શકાય. ધીરી ધીરે વ્યસ્તતાઓની કૂંપળ ક્યારે વટવૃક્ષ થઈને એના મૂળીયા આપણી ‘પોતીકી મજાના ફળીયાનો’ ભરડો લઈ જાય છે એની જાણ સુધ્ધા આપણને રહેતી નથી. ‘જીવ’ એ પ્રવૃત્તિરત રહેવા માંગે છે. એકાંત અને એકલતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એકલતા માણસને કોરી ખાય છે. જ્યારે એકાંતમાંથી જાગૃત સમાધીનું સાન્નિધ્ય સાંપડતું હોય છે. ‘સ્વ’ને પામવાનો ઉત્તમ માર્ગ એ એકાંતનું સાન્નિધ્ય છે. ‘જેમ ઉઘાડ નીકળ્યા પછી જ સાત રંગ અવતરે, જેમ પાનખરમાં એક્સપાઈરી ગુમાવી ચૂકેલા પાંદડાઓ ખરે’ એ વાતમાં જેટલી માર્મિકતા અને તાર્કિક્તા છે એમ જ આ વાતમાં પણ એટલો જ ગહન સંદર્ભ છે કે ‘બધાની ભીતરે કશેક કૈંક દિવ્ય છે, એ નાશવંત નથી પણ એ નિત્ય છે. બધી જ વાત આમ તો અગમ તત્વ સુધી જઈને અટકે છે.
---- ટહુકો ----
સમંદર બનવા માટે પહાડેથી ‘ધોધ થઈને પડવું’ પડે છે.

‘સાંજ’ એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે....જિગર જોષી ‘પ્રેમ’


આજે વાત કરવી છે ‘સાંજ’ની! વાત કરવી છે સંધ્યાની. વાત કરવી છે એવા સમયની, એવા પહોરની કે જે એકલતા અને ઉદાસીનું ઉદગમ સ્થાન ગણાય છે. વાત કરવી છે એવા ટાણાની જ્યારે આકાશ ફકીરીપણાની ચાદર ઓઢીને તપસ્વીપણાનો અહેસાસ કરાવે છે. ‘સાંજ’એ ભક્તિરસનું સોલો-પરફોરમન્સ છે. એ વાતાવરણના હાથે રચાયેલી રંગોળી છે.‘સાંજ’નો ઉલ્લેખ એક પણ તારીખિયામાં કે કેલેન્ડરમાં હોતો નથી, અને ઘડિયાળ પહેરીને જ સમયને વફાદાર રહી શકાય તેવી તમામ ભ્રમણાઓને એ એક જ ઝાટકે ખોટી પાડી શકે છે. આપણી અને કુદરત વચ્ચે જો કોઇ મોટો તફાવત હોય તો એ ‘વાયદો નિભાવવાનો’ તફાવત છે. કુદરત કોઇપણ કમિટમેંટ વગર આપણને કેટકેટલું આપે છે! અને આપણે સાંજ પડ્યે એટલા કમિટમેંટ આપીએ છીએ જેમાંથી મોટા ભાગના અધુરા જ રહી જાય છે. હ્રદય જેવું હોય તો ત્યાં હાથ રાખીને તમારી જાતને પુછો મારી વાત સાચી છે કે નહીં ?
‘સાંજ’ કંઇ કેટલાયે રંગો અને સ્વભાવ ધરાવે છે! માણસની જેમ જ! કયારેક ભગવો સંત જેવો, તો કયારેક મખમલી સ્વભાવ જેવો.. કયારેક આછેરો અજવાસી રંગ તો કયારેક ઉગ્રતાની ચરમસીમાએ પહોચેલા મિજાજ જેવો! એમાં એકલતા અને ઉદાસીનો મિજાજ એ આગવી વિશેષતા ધરાવે છે અને એના રંગની મજા પણ લૂંટવા જેવી છે. જાત સાથે ગોષ્ઠિ કરવાની કુંડળી કઢાવીને જરા જોઇ લેજો, સાંજ જેવો ઉત્તમ સમય એક્કય ચોઘડિયામાં ક્યાય હાથ નહીં લાગે. આમેય હું બ્રાહ્મણ ખરોને ! મેં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે આ ચોઘડિયાનો લાભ લીધો છે, એટલે જ આટલા કોન્ફીડેન્સથી આ વાત તમને કહી શકું છું.
‘સાંજ’એ ઉદાસીનતાની ઓકસફર્ડ યુનિવર્સિટી છે. ઢળતા સુરજના વિશાળ કેમ્પસમાં પથરાયેલી, ગેરુ રંગનો સ્પ્રે છાંટેલી આકાશી દિવાલો પેલી નજરે ધ્યાનાકર્શક લાગે એ સ્વાભાવિક છે. પણ સાંજ એ વાવ માફક ઉંડી હોય છે. જેમ જેમ પગથિયાઓ ઉતરતા જઇએ તેમ તેમ એક ચોક્કસ પ્રકારનું અંધારું આપણને ઘેરી વળવા આતુર હોય છે. સાંજ એ દિવસ દરમિયાન લાગેલા થાકનો સરવાળો નહીં પણ ઘર તરફ જતા રસ્તાઓનો હાંશકારો છે. સાંજ એ સરકસમાનું પંખી નથી કે જેને ઇચ્છા મુજબની ઉડાન માટે પરમિશન લેવી પડે. સાંજ એ તો એવું ઇન્દ્રધનુષ છે કે જેને વરસાદ પછીના ઉઘાડની કોઇ ગરજ સાલતી નથી. સાંજ એ ‘કોઇ’ના આગમનનો વિષય છે, એને પોતીકો લય છે, એના મૂળમાં પ્રણય છે. અને જેના મૂળમાં પ્રણય હોય એનાથી શુધ્ધ તત્વ દુનિયામાં બીજું તો ક્યુ હોઇ શકે ? હુક્કામાં ક્ષણોને ભરીને ગોટે-ગોટા કરવાની આગવી આવડત પણ ‘સાંજ’ પાસેથી જ આપણને પ્રાપ્ય બની છે.
સાંજ જેટલી ઉદાસ છે એટલી જ ઉદાર પણ છે. મેં સાંજને બગીચામાં એકલા પડી ગયેલા બાંકડાઓની હરોડ વચ્ચે નવી કૂંપળો ઉગાડતી જોઇ છે. સાંજ એ ખુંદવાનો નહીં પણ ડૂબવાનો વિષય છે. ‘સાંજ’ની હથીળીને ખૂબ સુક્ષ્મતાથી વાંચવી છે, એ આવનારી રાત્રીનું ભાગ્ય છતું કરે છે. ઝાલરટાણું જાણે કોઇ પરમત્વની શોધમાં લીન હોય છે. અને એનો નાદ મંદિરની શોભામાં વધારો કરનારો હોય છે. ‘ઘંટારવ એ કાનને સ્પર્શતી ઉત્તમોત્તમ ક્ષણ છે’ એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી લાગતું.
‘ઘડપણ’ અને ‘સાંજ’ મહદઅંશે એકબીજાના પુરક છે. આમેય પરિપક્વતા આવતા આવતા વાર તો લાગે જ ને! કારણકે પરિપક્વતા એ અનુભવોનો સરવાળો છે. જિવન એ આવડતોને વિક્સાવવાની પાઠશાળા છે. જેમાં આપમેળે જ એડમિશન મળી જાય છે. ઘડપણ એ નિષ્ફળતાઓને મઠારી લીધા પછીની મહેક છે. એ નિજાનંદતાને ખૂબ નજદિકથી માણવાની મોસમ છે. આંખને ઝીણી કરીને દરેક ચીજને બારીકાઇથી ચકાસવાનો અવસર છે. જવાબદારીઓને અલવિદા કહેવાનો નમ્ર પ્રયાસ છે. એ ભૂતકાળની બારીએથી ડોકિયુ કરીને વર્તમાનને અજવાળવાની મંદ ગતિ છે. ‘ને હકીકતમાં એ જ સાચી સંપત્તી છે. શ્રધ્ધાનું અજવાળું પાથરવાનો ખરો સમય સંધ્યા જ છે એ પછી વાત વાતાવરણની હોય કે જિવનની! સાંજ અને ‘ચા’ માત્ર ધડપણમાં જ એકમેકમાં ઓગળી શકે છે. અને એના જેવો બીજો એક્કેય અનુભવ ઇતિહાસમાં ક્યાય કંડારી નથી શકાયો.. ‘પ્રવૃત્તિ’ એ માનવીને ફ્રેશ રાખતું અલૌકિક ઔષધ છે.ઘડપણમાં ગમતિલી કોઇ પ્રવૃત્તિનો હિસ્સો બનવાની તક મળે તો વધાવી લેવી જોઇએ અને તક ન મળે તો ઉભી કરવી જોઇએ. નીવૃત્તિનો ખરો આનંદ પ્રવૃત્તિમય રહેવામાં જ છે. આ ઉંમરમાં આપણે અન્યના સપનાઓને નવી દિશાઓ ચીંધવાની જવાબદારી સ્વેચ્છાએ સ્વિકારવાની હોય છે.
---- ટહુકો ----
’સાંજ’! એ પછી જિવનની હોય કે રાત પહેલાની, પણ બંને અનુભવોની આખરી પૂંજી સમાન છે. જેની સાચવણી માત્ર ‘હ્રદય’ નામનું મ્યુઝિયમ જ કરી શકે છે.